શું તમે જાણો છો હવન કરતી વખતે ‘સ્વાહા’ શબ્દ બોલવાનું રહસ્ય અને મહત્વ વિશે ?
હિન્દુધર્મમાં કોઈ પણ શુભકાર્ય હોય, હવન વગર પૂરું નથી થતું. એવું માનવામાં આવે છે કે હવનના માધ્યમથી મનુષ્ય પોતાનો અવાજ દેવતાઓ સુધી પહોંચાડી શકે છે. અને આપણાં પૌરાણિક ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે હવન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.
આપણે અનેક હવનના દર્શન કર્યા હશે. તેમજ તમે તમારા ઘરે પણ ક્યારેક હવનનું આયોજન કર્યું હશે. બ્રાહ્મણો અનેક મંત્રોચ્ચાર કરીને અગ્નિમાં આહુતિઓ આપે છે. પણ તમે ક્યારેક નિરીક્ષણ કર્યું છે આ હવનમાં આહુતિ આપતી વખતે બ્રાહ્મણ હંમેશા મંત્રના અંતમાં ‘સ્વાહા’ નું ઉચ્ચારણ કરે છે. શું તમને ક્યારેય મનમાં પ્રશ્ન થયો છે કે શા માટે હવનમાં ‘સ્વાહા’ બોલવામાં આવે છે.
હવન કરતી વખતે હંમેશા ‘સ્વાહા’ કહેવામા આવે છે. પણ તેનું મુખ્ય કારણ તમને ખબર છે ? સ્વાહાનો અર્થ થાય છે સાચી રીતે પહોંચાડવું. મંત્ર પાઠ કરતા સમયે સ્વાહા કહીને જ હવન સામગ્રી ભગવાનને સમર્પિત કરવામાં આવે છે. ચાલો તો આજે આપણે જાણીએ શા માટે હવનમાં ‘સ્વાહા’ બોલવામાં આવે છે ? શું તમે પણ આના વિશે વિસ્તારથી જાણવા માંગો છો તો આ આર્ટિકલ અંત સુધી જરૂરથી વાચો.
હકીકતમાં જોઈએ તો કોઈપણ યજ્ઞ ત્યાં સુધી સફળ નથી કહેવાતો જ્યાં સુધી હવનને દેવતાઓ ગ્રહણ એટલે કે સ્વીકારે નહીં. પણ દેવતાઓ કોઈપણ યજ્ઞને ત્યારે જ સ્વીકારી શકે છે જ્યારે અગ્નિ દ્રારા ‘સ્વાહા’ ના માધ્યમથી તેને ભોગ અર્પણ કરવામાં આવે.
સ્વાહાનો અર્થ છે સાચી રીતે પહોંચાડવું અથવા તો બીજા શબ્દોમાં કહેવામાં આવે તો કોઈપણ જરૂરી પદાર્થને તેના પ્રિય સુધી પહોંચાડવું. શ્રી મદ્દ ભાગવત અને શિવપુરાણમાં સ્વાહાને સંબંધિત ઘણા વર્ણનો જોવા મળે છે. આ સિવાય ઋગ્વેદ, યજુર્વેદ વગેરે વેદિક ગ્રંથોમાં પણ અગ્નિની મહત્તા પર ઘણા સૂકતો આપ્યા છે અને મંત્ર પાઠ કરતા સમયે સ્વાહા કહીને હવન સામગ્રી ભગવાનને અર્પિત કરીએ છીએ.
આપણા પૌરાણિક કથાઓ અનુસાર સ્વાહા એ દક્ષ પ્રજાપતિની પુત્રી હતી. તેના લગ્ન અગ્નિદેવ સાથે કરવામાં આવ્યા હતા. આથી અગ્નિદેવ સ્વાહાના માધ્યમથી જ હવિષ્ય (યજ્ઞ સામગ્રી અથવા સમિધ) ગ્રહણ કરે છે. તથા તેના દ્રારા જ યજ્ઞમાં જે દેવતાના મંત્રનું ઉચ્ચારણ થતું હોય તેને હવિષ્ય પ્રાપ્ત થાય છે.
આ સિવાય પણ ઘણી કથાઓ પ્રચલિત છે જેમાં સ્વાહાના મહત્વ વિશે કહેવામા આવ્યું છે. એક બીજી પૌરાણિક કથા અનુસાર અગ્નિદેવની પત્ની સ્વાહાને પાવક, પવમાન અને શૂચી નામના ત્રણ પુત્રો હતા. સ્વાહાની ઉત્પત્તિની આ રોચક કથા પણ ખુબ જ અદ્દભુત છે. તે અનુસાર સ્વાહા એ પ્રકૃતિની જ એક કળા માનવામાં આવે છે. જેના લગ્ન અગ્નિદેવની સાથે દેવતાઓના કહેવાથી થયા હતા. તેમજ આ સ્વાહાને ભગવાન શ્રી કૃષ્ણ એ વરદાન આપ્યું હતું કે માત્ર તેના દ્રારા જ દેવતાઓ યજ્ઞમાં હવિષ્યને ગ્રહણ કરી શકશે. આમ યજ્ઞનું આયોજન ત્યારે જ પુરુ થયું કહેવાય જ્યારે યજ્ઞમાં બોલાવવામાં આવેલા દેવતાઓને તેમનું મનપસંદ ભોજન આપવામાં આવે.
આમ વાસ્તવમાં જોવામાં આવે તો સ્વાહા એ અગ્નિદેવની પત્ની છે અને આપણી સંસ્કૃતિમાં પત્નીને પતિ ની અર્ધાંગીની કહેવામા આવે છે અને કોઈપણ યજ્ઞમાં પતિ પોતાની પત્ની વગર યજ્ઞ સંપન્ન કરી નથી શકતો. આથી જ હવનમાં દરેક મંત્ર પછી સ્વાહા બોલવામાં આવે છે
Source —> www.gujaratidayro.com